સ્કીપ ટુ કન્ટેન્ટ

સ્કીપ ટુ ટેબલ ઑફ કન્ટેન્ટ્સ

શું એક નાની ગેરસમજ?

શું એક નાની ગેરસમજ?

એક નાનકડી છોકરીએ મિલની ચીમનીમાંથી ધુમાડાના ગોટા નીકળતા જોયા, જે તેને વાદળ જેવા લાગ્યા. તેણે માની લીધું કે એ મિલ વાદળાં બનાવે છે. નાનકડી છોકરીની એ ગેરસમજ કદાચ રમૂજી લાગે. જોકે, મોટી ગેરસમજ આપણને ભારે નુકસાન કરી શકે. દાખલા તરીકે, દવાની શીશી પર લખેલું નામ વાંચવામાં જો ગેરસમજ થાય, તો એનું ગંભીર પરિણામ આવી શકે.

ઈશ્વરને લગતી માન્યતાઓ વિશેની ગેરસમજ પણ ગંભીર સાબિત થઈ શકે. દાખલા તરીકે, અમુક લોકો ઈસુના શિક્ષણને ખોટી રીતે સમજ્યા હતા. (યોહાન ૬:૪૮-૬૮) વધુ શીખવાને બદલે તેઓએ ઈસુના શિક્ષણને ત્યજી દીધું. કેટલું મોટું નુકસાન!

માર્ગદર્શન માટે શું તમે બાઇબલ વાંચો છો? જો વાંચતા હો, તો એ પ્રશંસનીય છે. પરંતુ, બાઇબલ વાંચવાથી શું કોઈ ગેરસમજ ઊભી થઈ શકે? ઘણા લોકોના કિસ્સામાં એમ બન્યું છે. ચાલો, સામાન્ય રીતે જોવા મળતી ત્રણ ગેરસમજ વિશે આપણે ચર્ચા કરીએ.

  • બાઇબલ આજ્ઞા કરે છે કે, સાચા “ઈશ્વરનું ભય” રાખ. (સભાશિક્ષક ૧૨:૧૩) એ શબ્દોથી ઘણાના મનમાં ગેરસમજ ઊભી થાય છે. તેઓને લાગે છે કે આપણે ઈશ્વરથી ડરી ડરીને રહેવાનું છે. પરંતુ, પોતાના ભક્તો એવી લાગણી સાથે જીવે એવું ઈશ્વર ચાહતા નથી. ઈશ્વર તો કહે છે: “તું બીશ મા, કેમ કે હું તારી સાથે છું; આમતેમ જોઈશ મા, કેમ કે હું તારો ઈશ્વર છું; મેં તને બળવાન કર્યો છે; વળી મેં તને સહાય કરી છે.” (યશાયા ૪૧:૧૦) ઈશ્વરનો ભય રાખવાનો અર્થ થાય કે, આપણે તેમની સત્તાને આધીન રહીએ અને તેમને ઊંડું માન આપીએ.

  • શું પૃથ્વીને બાળીને ભસ્મ કરી નાખવામાં આવશે?

    ઈશ્વરની પ્રેરણાથી લખાયેલા આ શબ્દોનો અમુક લોકો ઊંધો અર્થ કાઢે છે: “પૃથ્વી ઉપર દરેક બાબતને માટે . . . વખત હોય છે: જનમવાનો વખત અને મરવાનો વખત.” (સભાશિક્ષક ૩:૧, ૨) તેઓ એવું તારણ કાઢે છે કે ઈશ્વરે દરેકના મોતનો સમય નિશ્ચિત કરી દીધો છે. જોકે, એ અહેવાલ તો માનવજીવનના અલગ અલગ તબક્કાની વાત કરે છે, જેમાં મૃત્યુનો પણ સમાવેશ થાય છે. દરેક મનુષ્યે મૃત્યુનો ડંખ સહેવો પડે છે. બાઇબલ એ પણ શીખવે છે કે, આપણા અમુક નિર્ણયોની અસર આખા જીવન પર થાય છે. બાઇબલના આ શબ્દોનો વિચાર કરો: “યહોવાનું ભય આયુષ્ય વધારે છે.” (નીતિવચનો ૧૦:૨૭; ગીતશાસ્ત્ર ૯૦:૧૦; યશાયા ૫૫:૩) કઈ રીતે? યહોવાની સલાહો પ્રત્યે જો આપણને માન હશે, તો શરીરને નુકસાન કરતી દરેક આદતો આપણે ટાળીશું. જેમ કે, દારૂડિયાપણું અને અનૈતિક જીવન.—૧ કોરીંથીઓ ૬:૯, ૧૦.

  • બાઇબલ જણાવે છે કે, આકાશ તથા પૃથ્વીને “અગ્નિથી નાશ કરવા રાખી મૂક્યાં છે.” (૨ પીતર ૩:૭) અમુક લોકો એ કલમને શબ્દેશબ્દ માની લે છે અને એવો નિષ્કર્ષ કાઢે છે કે ઈશ્વર આ પૃથ્વીનો નાશ કરશે. પરંતુ, ઈશ્વરે વચન આપ્યું છે કે, તે આ પૃથ્વીનો ક્યારેય નાશ નહિ કરે. બાઇબલ કહે છે: “કદી ખસે નહિ એવો પૃથ્વીનો પાયો તેણે [ઈશ્વરે] નાખ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૦૪:૫; યશાયા ૪૫:૧૮) ઈશ્વર આ પૃથ્વીનો નહિ, પણ દુષ્ટ સંસારનો હંમેશ માટે નાશ કરશે, જાણે અગ્નિથી તેને ખાખ કરી નાખશે. જ્યારે કે, ‘આકાશ’ કે સ્વર્ગ શબ્દ તારામંડળ અથવા ઈશ્વરના રહેઠાણને રજૂ કરી શકે. એ બધાનો ક્યારેય નાશ નહિ થાય.

શા માટે બાઇબલ વિશે ગેરસમજ થાય છે?

ઉપર જણાવેલા દાખલા પરથી સાફ છે કે, લોકો ઘણી વાર બાઇબલ અહેવાલોને ખરી રીતે સમજતા નથી. પરંતુ, ઈશ્વર શા માટે એવું થવા દે છે? કદાચ તમારા મનમાં આવો વિચાર આવે, ‘જો ઈશ્વર સર્વ સંપન્ન અને સર્વ જ્ઞાની હોય, તો તેમણે બાઇબલ એ રીતે કેમ નથી લખાવ્યું, જેથી બધા લોકો એને સહેલાઈથી સમજી શકે?’ યહોવા ઈશ્વરે શા માટે એમ નથી કર્યું, ચાલો એનાં ત્રણ કારણો જોઈએ.

  1. ૧. બાઇબલ એવા લોકો માટે લખવામાં આવ્યું છે, જેઓ નમ્ર અને શીખવા આતુર છે. બાઇબલ એ રીતે લખવામાં આવ્યું છે, જેથી યોગ્ય વલણ રાખનાર લોકો જ એનો સંદેશો સમજી શકે. ઈસુએ કહ્યું હતું: “હે પિતા, સ્વર્ગ અને પૃથ્વીના પ્રભુ, હું બધા આગળ તમારી સ્તુતિ કરું છું, કેમ કે તમે આ વાતો શાણા અને જ્ઞાની લોકોથી સંતાડી રાખી છે અને નાનાં બાળકો જેવાં નમ્ર લોકોને પ્રગટ કરી છે.” (લુક ૧૦:૨૧) ‘શાણા અને જ્ઞાની લોકો’ મોટા ભાગે ઘમંડી હોય છે. એના લીધે તેઓ બાઇબલના સંદેશાનો ખોટો અર્થ કાઢે છે. જ્યારે કે, “નાનાં બાળકો”ની જેમ જેઓ નમ્ર અને શીખવા આતુર છે, તેઓ ઈશ્વરના સંદેશાને વધુ સારી રીતે સમજે છે. બાઇબલ ખરેખર ઈશ્વરની અજોડ કારીગરીનો પુરાવો છે.

  2. ૨. બાઇબલ એવા લોકો માટે લખવામાં આવ્યું છે, જેઓ એને સમજવા ઈશ્વરની મદદ લે છે. ઈસુએ જણાવ્યું હતું કે, તેમના શિક્ષણને પૂરી રીતે સમજવા લોકોને મદદની જરૂર પડશે. તેઓને એ મદદ કેવી રીતે મળશે? ઈસુએ સમજાવ્યું: “સહાયક એટલે કે પવિત્ર શક્તિ, પિતા મારા નામે મોકલશે, એ તમને બધું શીખવશે.” (યોહાન ૧૪:૨૬) તેથી, જે લોકો બાઇબલની વાતોને સમજવા ચાહે છે, તેઓને ઈશ્વર પોતાની પવિત્ર શક્તિ આપે છે. જોકે, જેઓ ઈશ્વરની મદદ માંગતા નથી તેઓને એ શક્તિ આપવામાં આવતી નથી. એના લીધે તેઓને બાઇબલ મૂંઝવણભર્યું લાગે છે. બીજી તર્ફે, સમજણ માટે તરસ્યા લોકોને મદદ કરવા પવિત્ર શક્તિ જ્ઞાની ઈશ્વરભક્તોને પ્રેરણા આપે છે.—પ્રેરિતોનાં કાર્યો ૮:૨૬-૩૫.

  3. ૩. બાઇબલના અમુક બનાવોનો ખુલાસો એના યોગ્ય સમયે જ થાય છે. દાખલા તરીકે, પ્રબોધક દાનીયેલને ભાવિ માટે એક સંદેશો લખવા કહેવામાં આવ્યું. દૂતે તેમને કહ્યું: “હે દાનીયેલ, તું છેક અંતના સમય સુધી એ વાતો બંધ કરીને પુસ્તક પર મહોર સિક્કો કર.” સદીઓ સુધી, ઘણા લોકોએ દાનીયેલનું પુસ્તક વાંચ્યું, પણ એને પૂરી રીતે સમજી ન શક્યા. અરે, દાનીયેલ પોતે પણ એ લખાણ સમજી શક્યા ન હતા. તેમણે નમ્ર દિલે સ્વીકાર્યું: “મેં તે સાંભળ્યું, પણ હું સમજ્યો નહિ.” સમય જતાં, દાનીયેલે લખેલી ભવિષ્યવાણીનો સાચો અર્થ લોકો સમજવાના હતા, પરંતુ ઈશ્વરે નક્કી કરેલા સમયે. દૂતે જણાવ્યું હતું: “હે દાનીયેલ, તું તારે રસ્તે ચાલ્યો જા; કેમ કે અંતના સમય સુધી એ વાતો બંધ તથા મુદ્રિત કરવામાં આવેલી છે.” ઈશ્વરનો સંદેશો કોણ સમજી શકશે? બાઇબલ જણાવે છે કે, “કોઈ પણ દુષ્ટ સમજશે નહિ; પણ જ્ઞાની જનો સમજશે.” (દાનીયેલ ૧૨:૪, ૮-૧૦) આમ, નિયત સમય આવે નહિ ત્યાં સુધી, ઈશ્વર બાઇબલનું અમુક રહસ્ય ઉકેલતા નથી.

શું યહોવાના સાક્ષીઓને બાઇબલ વિશે ક્યારેય ગેરસમજ થઈ છે? હા. પરંતુ, ઈશ્વરે જ્યારે તેમના નિયત સમયે બાબતોને સ્પષ્ટ કરી, ત્યારે સાક્ષીઓએ તરત જ પોતાની સમજણમાં સુધારા કર્યા. તેઓ માને છે કે, એવા ફેરફારો કરીને તેઓ ખ્રિસ્તના શિષ્યોને પગલે ચાલે છે. ઈસુએ જ્યારે પણ એ શિષ્યોને સુધાર્યા, ત્યારે તેઓએ નમ્રતાથી પોતાના વિચારોમાં ફેરફાર કર્યા.—પ્રેરિતોનાં કાર્યો ૧:૬, ૭.

વાદળો કેવી રીતે બને છે, એ વિશે નાનકડી છોકરીના રમૂજી વિચારો નાની અમથી ગેરસમજ કહેવાય. પરંતુ, બાઇબલનું શિક્ષણ તમારા માટે ઘણું મહત્ત્વ ધરાવે છે. એનો સંદેશો ખૂબ જ મહત્ત્વનો છે. તેથી, એને સમજવા પોતાના પર આધાર રાખવાને બદલે બીજાઓની મદદ લેવી સારું રહેશે. એવા લોકોની મદદ લો, જેઓ નમ્ર દિલે બાઇબલનો અભ્યાસ કરે છે અને એને સમજવા તેઓ ઈશ્વરની પવિત્ર શક્તિ પર આધાર રાખે છે. તેમ જ, ભરોસો રાખે છે કે, આપણે ઇતિહાસના એવા દોરમાં જીવી રહ્યા છીએ, જ્યારે ઈશ્વર ચાહે છે કે આપણે બાઇબલને સારી રીતે સમજીએ. યહોવાના સાક્ષીઓની મદદ લેવામાં અથવા jw.org વેબસાઇટ પર કાળજીપૂર્વક તૈયાર કરેલી માહિતી વાંચવામાં જરા પણ ખચકાશો નહિ. બાઇબલમાં વચન આપ્યું છે: ‘જો તું સમજણ માટે પોકાર કરશે, તો ઈશ્વરનું જ્ઞાન તારે હાથ લાગશે.’—નીતિવચનો ૨:૩-૫.