સ્કીપ ટુ કન્ટેન્ટ

મહામારી વિશે શાસ્ત્ર શું કહે છે?

મહામારી વિશે શાસ્ત્ર શું કહે છે?

શાસ્ત્રમાંથી જવાબ

 બાઇબલમાં અગાઉથી જણાવ્યું છે કે છેલ્લા દિવસોમાં ચેપી રોગો (મોટા પ્રમાણમાં ફેલાયેલા રોગો, જેમાં મહામારીનો પણ સમાવેશ થાય છે) ફેલાશે. (લુક ૨૧:૧૧) આવી મહામારી એ ઈશ્વર તરફથી કોઈ બદલો કે સજા નથી. હકીકતમાં ઈશ્વર પોતાના રાજ્ય દ્વારા દરેક બીમારીઓને જલદી જ દૂર કરશે, મહામારીને પણ!

 શું બાઇબલમાં મહામારી વિશે અગાઉથી જણાવવામાં આવ્યું છે?

બાઇબલમાં અગાઉથી કોઈ ચોક્કસ મહામારી વિશે જણાવવામાં આવ્યું નથી. જેમ કે, કોવિડ-૧૯, એઇડ્‌સ કે સ્પૅનિશ ફ્લુ. પરંતુ, બાઇબલ “ચેપી રોગો” અને “જીવલેણ બીમારી” વિશે અગાઉથી જણાવે છે. (લુક ૨૧:૧૧; પ્રકટીકરણ ૬:૮) આ બનાવો ‘છેલ્લા દિવસોની’ નિશાનીનો ભાગ છે, જેને ‘દુનિયાના અંતના સમયની નિશાનીઓ’ પણ કહેવામાં આવે છે.—૨ તિમોથી ૩:૧; માથ્થી ૨૪:૩.

 શું ઈશ્વરે લોકોને ક્યારેય બીમારીઓથી સજા કરી છે?

બાઇબલમાં અમુક બનાવો વિશે જણાવ્યું છે, જેમાં ઈશ્વરે લોકોને બીમારીથી સજા કરી છે. દાખલા તરીકે, તેમણે અમુક લોકોને રક્તપિત્તની બીમારીથી સજા કરી. (ગણના ૧૨:૧-૧૬; ૨ રાજાઓ ૫:૨૦-૨૭; ૨ કાળવૃત્તાંત ૨૬:૧૬-૨૧) જોકે આ બનાવો વખતે થયેલી બીમારીઓ કઈ આડેધડ ફેલાતી મહામારી ન હતી, જેનાથી નિર્દોષ લોકોને નુકસાન થયું હોય. એને બદલે આ બીમારીઓ એવા લોકોનો ન્યાય કરવા માટે હતી જેઓએ યહોવાનો વિરોધ કર્યો હતો.

 શું આજની મહામારી ઈશ્વર તરફથી સજા છે?

ના. અમુક લોકો એવું માને છે કે આજે ઈશ્વર આવી મહામારી અને બીજી બીમારીઓનો ઉપયોગ કરીને સજા કરે છે. જોકે બાઇબલ એ વાતને ટેકો આપતું નથી. શા માટે?

પહેલાના અને આજના અમુક ઈશ્વરભક્તો અમુક કારણોના લીધે બીમારીનો ભોગ બન્યા છે. દાખલા તરીકે, વફાદાર ઈશ્વરભક્ત તિમોથીએ ‘વારંવાર બીમારીનો’ સામનો કર્યો. (૧ તિમોથી ૫:૨૩) પણ એ ઈશ્વર તરફથી સજા હતી એવું બાઇબલ જણાવતું નથી. કેમ કે, આજે પણ અમુક ઈશ્વરભક્તો એવી બીમારીઓનો સામનો કરી રહ્યા છે. મોટા ભાગે તેઓ પર સમય અને સંજોગોની અસર જોવા મળે છે.—સભાશિક્ષક ૯:૧૧.

વધુમાં, બાઇબલ શીખવે છે કે ઈશ્વર દ્વારા દુષ્ટોને સજા કરવાનો સમય હજુ આવ્યો નથી. અત્યારે આપણે ‘તારણના દિવસ’માં જીવીએ છે. આ એ સમયગાળો છે જેમાં ઈશ્વર દરેક લોકોને તેમની નજીક આવવાનું અને પોતાનું જીવન બચાવવાનું આમંત્રણ આપી રહ્યા છે. (૨ કોરીંથીઓ ૬:૨) ઈશ્વર એ આમંત્રણ આખી દુનિયામાં લોકોને કઈ રીતે આપી રહ્યાં છે? દુનિયા ફરતે “રાજ્યની આ ખુશખબર” પ્રચારકામ દ્વારા ફેલાવીને.—માથ્થી ૨૪:૧૪.

 શું મહામારીનો કદી અંત આવશે?

હા. બાઇબલ જણાવે છે કે નજીકના ભાવિમાં એવો સમય આવશે જ્યારે કોઈ બીમાર નહિ હોય. ઈશ્વર તેમના રાજ્યમાં, દરેક લોકોને સારી તંદુરસ્તી આપશે. (યશાયા ૩૩:૨૪; ૩૫:૫, ૬) તે બધી તકલીફો, દર્દ અને મરણને દૂર કરશે. (પ્રકટીકરણ ૨૧:૪) તેમ જ, જે લોકો મરણ પામ્યા છે તેઓને ઈશ્વર ફરીથી ઉઠાડશે. જેથી તેઓ આ જ પૃથ્વી પર સારી તંદુરસ્તી સાથે જીવનનો આનંદ ઉઠાવી શકશે.—ગીતશાસ્ત્ર ૩૭:૨૯; પ્રેરિતોનાં કાર્યો ૨૪:૧૫.

 બીમારી વિશે બાઇબલની કલમો

માથ્થી ૪:૨૩: “પછી, ઈસુ આખા ગાલીલમાં ફરીને લોકોનાં સભાસ્થાનોમાં શીખવવા લાગ્યા અને રાજ્યની ખુશખબરનો પ્રચાર કરવા લાગ્યા. તેમણે લોકોના બધી જાતના રોગ મટાડ્યા અને તેઓને હરેક પ્રકારની નબળાઈથી સાજા કર્યા.”

અર્થ: ઈસુએ જે થોડા ચમત્કારો કર્યા એનાથી આપણને ખબર પડે છે કે ઈશ્વરનું રાજ્ય જલદી જ માણસોની બીમારીઓ દૂર કરશે.

લુક ૨૧:૧૧: “એક પછી બીજી જગ્યાએ . . . ચેપી રોગો ફેલાશે.”

અર્થ: દુનિયા ફરતે ફેલાયેલી બીમારીઓ, એ છેલ્લા દિવસની નિશાની છે.

પ્રકટીકરણ ૬:૮: “મેં જોયું અને જુઓ! એક ફિક્કા રંગનો ઘોડો હતો અને એના પર જે બેઠો હતો તેનું નામ મરણ હતું. અને તેની પાછળ પાછળ કબર આવતી હતી. અને . . . જીવલેણ બીમારીથી . . . મારવાની તેઓને સત્તા આપવામાં આવી.”

અર્થ: પ્રકટીકરણના ચાર ઘોડેસવારોની ભવિષ્યવાણી બતાવે છે કે મહામારી આપણા સમયમાં થશે.