પ્રેરિતોનાં કાર્યો ૨૬:૧-૩૨

  • અગ્રીપા આગળ પાઉલ પોતાના બચાવમાં બોલે છે (૧-૧૧)

  • પાઉલ જણાવે છે કે તે કઈ રીતે ખ્રિસ્તી બન્યો (૧૨-૨૩)

  • ફેસ્તુસ અને અગ્રીપાનો જવાબ (૨૪-૩૨)

૨૬  અગ્રીપાએ+ પાઉલને કહ્યું: “તને તારા બચાવમાં બોલવાની છૂટ છે.” એટલે પાઉલે હાથ લાંબો કરીને પોતાના બચાવમાં કહેવાનું શરૂ કર્યું: ૨  “હે રાજા અગ્રીપા, યહૂદીઓએ મારા પર મૂકેલા બધા આરોપો+ વિશે તમારી આગળ આજે મને પોતાના બચાવમાં બોલવાની તક મળી, એ મારા માટે ખુશીની વાત છે. ૩  ખાસ એટલા માટે કે તમે યહૂદીઓના બધા રીતરિવાજો અને મતભેદોના સારા જાણકાર છો. તમે મારી વાત ધીરજથી સાંભળો એવી મારી વિનંતી છે. ૪  “યુવાનીથી હું મારા લોકોમાં અને યરૂશાલેમમાં કેવું જીવન જીવતો હતો, એના વિશે ઘણા યહૂદીઓ સારી રીતે જાણે છે.+ ૫  તેઓ મને પહેલેથી ઓળખે છે. તેઓ ચાહે તો સાક્ષી આપી શકે છે કે અમારા ધર્મના સૌથી ચુસ્ત પંથ પ્રમાણે+ હું ફરોશી તરીકે જીવતો હતો.+ ૬  પણ હવે ઈશ્વરે અમારા બાપદાદાઓને આપેલા વચનની આશામાં માનવાને લીધે,+ આજે મારા પર આ મુકદ્દમો ચાલી રહ્યો છે. ૭  અમારાં ૧૨ કુળો એ જ વચન પૂરું થાય એ જોવાની આશા રાખે છે, એટલે તેઓ રાત-દિવસ પૂરા દિલથી ઈશ્વરની પવિત્ર સેવા કરે છે. હે રાજા, એ આશાને લીધે યહૂદીઓ મારા પર આરોપ મૂકે છે.+ ૮  “મરી ગયેલા લોકોને ઈશ્વર ઉઠાડે છે, એ માનવું તમારામાંથી અમુકને કેમ અશક્ય લાગે છે? ૯  હું પોતે પણ એવું માનતો હતો કે નાઝરેથના ઈસુ* વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. ૧૦  યરૂશાલેમમાં મેં એવું જ કર્યું અને ઘણા પવિત્ર જનોને કેદમાં પૂરી દીધા,+ કેમ કે મુખ્ય યાજકો તરફથી મને અધિકાર મળ્યો હતો.+ તેઓને મારી નાખવાના નિર્ણયને હું ટેકો આપતો હતો. ૧૧  હું બધાં સભાસ્થાનોમાં વારંવાર તેઓને સજા કરતો, જેથી તેઓ પોતાની શ્રદ્ધાનો ત્યાગ કરે. મને તેઓ પર એટલો બધો ગુસ્સો હતો કે હું તેઓની સતાવણી કરવા બીજાં શહેરોમાં પણ જતો. ૧૨  “એકવાર, એમ કરવા હું મુખ્ય યાજકો પાસેથી અધિકાર અને હુકમ લઈને દમસ્ક જતો હતો. ૧૩  હે રાજા, ભરબપોરે રસ્તા પર મેં મારી આસપાસ અને મારી સાથે મુસાફરી કરનારાઓની આસપાસ, આકાશમાંથી સૂર્યથી પણ વધારે તેજસ્વી પ્રકાશ ઝળહળતો જોયો.+ ૧૪  અમે બધા જમીન પર પડી ગયા અને હિબ્રૂ ભાષામાં મને એક અવાજ સંભળાયો: ‘શાઉલ, શાઉલ, તું કેમ મારા પર જુલમ કરે છે? આરને* લાત મારીને તું પોતાને જ નુકસાન પહોંચાડે છે.’ ૧૫  પણ મેં કહ્યું: ‘માલિક, તમે કોણ છો?’ તેમણે કહ્યું: ‘હું ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે. ૧૬  હવે ઊભો થા. મેં તને દર્શન આપ્યું છે, જેથી હું તને મારા સેવક તરીકે પસંદ કરું. તેમ જ, મારા વિશેની જે વાતો તેં જોઈ છે અને જે હું તને બતાવવાનો છું, એના સાક્ષી તરીકે તને પસંદ કરું.+ ૧૭  હું તને આ લોકોથી અને બીજી પ્રજાઓથી બચાવીશ, જેઓની પાસે હું તને મોકલું છું.+ ૧૮  હું તને એટલા માટે મોકલું છું, જેથી તું તેઓની આંખો ખોલે,+ તેઓને અંધકારથી+ પ્રકાશ+ તરફ અને શેતાનની સત્તાથી+ ઈશ્વર તરફ પાછા ફેરવે. આમ કરવાથી તેઓ પાપોની માફી મેળવશે+ અને મારા પરની શ્રદ્ધાને લીધે પવિત્ર કરાયેલા લોકોની સાથે વારસો મેળવશે.’ ૧૯  “એટલે હે રાજા અગ્રીપા, મેં સ્વર્ગમાંથી થયેલા દર્શનની આજ્ઞા માની. ૨૦  હું પહેલા દમસ્ક,+ પછી યરૂશાલેમ,+ યહૂદિયાના આખા પ્રદેશમાં અને બીજી પ્રજાઓના લોકો પાસે પણ ગયો. ત્યાં હું સંદેશો આપતો હતો કે તેઓ પસ્તાવો કરે અને પોતાનાં કામોથી પસ્તાવાની સાબિતી આપીને ઈશ્વર તરફ ફરે.+ ૨૧  એટલે યહૂદીઓએ મને મંદિરમાં પકડ્યો અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો.+ ૨૨  જોકે, ઈશ્વર તરફથી મને જે મદદ મળે છે, એના લીધે હું આ દિવસ સુધી નાના-મોટા સર્વને સાક્ષી આપી રહ્યો છું. પ્રબોધકો અને મૂસાએ જે બનાવો બનવા વિશે જણાવ્યું હતું,+ એ સિવાય હું બીજા કશા વિશે કહેતો નથી. તેઓએ જણાવ્યું હતું કે, ૨૩  ખ્રિસ્તે દુઃખ સહન કરવું પડશે+ અને તેમને મરણમાંથી સૌથી પહેલા ઉઠાડવામાં આવશે.+ તે આ લોકોમાં અને બીજી પ્રજાઓમાં પ્રચાર કરશે અને પ્રકાશ ફેલાવશે.”+ ૨૪  પાઉલ પોતાના બચાવમાં એ વાતો કહેતો હતો એવામાં, ફેસ્તુસ ઊંચા અવાજે બોલી ઊઠ્યો: “પાઉલ, તું ગાંડો થઈ ગયો છે! વધારે પડતા જ્ઞાનને લીધે તારું મગજ ચસકી ગયું છે!” ૨૫  પણ પાઉલે કહ્યું: “માનનીય ફેસ્તુસ, હું ગાંડો નથી થઈ ગયો, પણ સત્ય અને સમજદારીની વાતો કરું છું. ૨૬  રાજા એ બધું સારી રીતે જાણે છે, એટલે હું આટલી છૂટથી તેમની આગળ બોલી શકું છું. મને ખાતરી છે કે એમાંની એક પણ વાત તેમના ધ્યાન બહાર ગઈ નથી, કેમ કે એમાંની કોઈ પણ વાત ખાનગીમાં થઈ નથી.+ ૨૭  રાજા અગ્રીપા, શું તમે પ્રબોધકોમાં માનો છો? હું જાણું છું કે તમે માનો છો.” ૨૮  પણ અગ્રીપાએ પાઉલને કહ્યું: “જો હું તને સાંભળતો રહીશ, તો થોડા સમયમાં તું મને પણ ખ્રિસ્તી બનવા મનાવી લઈશ.” ૨૯  એ સાંભળીને પાઉલે કહ્યું: “ઈશ્વરને હું એ જ પ્રાર્થના કરું છું કે આજે નહિ તો કાલે, ફક્ત તમે જ નહિ, મને સાંભળનારા બધા પણ મારા જેવા બને, બસ એટલું કે તેઓ મારી જેમ બેડીઓમાં ન હોય.” ૩૦  પછી રાજા ઊભો થયો અને તેની સાથે રાજ્યપાલ, બરનિકા અને સાથે બેઠેલા માણસો પણ ઊભા થયાં. ૩૧  પણ તેઓ જતાં જતાં એકબીજાને કહેવા લાગ્યા: “આ માણસે એવું કંઈ કર્યું નથી, જેના લીધે તેને મરણ કે કેદની સજા ફટકારવામાં આવે.”+ ૩૨  અગ્રીપાએ ફેસ્તુસને કહ્યું: “જો આ માણસે સમ્રાટ* પાસે ન્યાય માંગ્યો ન હોત,+ તો આપણે તેને છોડી શક્યા હોત.”

ફૂટનોટ

મૂળ, “ઈસુના નામ.”
આર એટલે જાનવરને હાંકવા માટેની ખીલી બેસાડેલી લાકડી. શબ્દસૂચિ જુઓ.
મૂળ, “કાઈસાર.” શબ્દસૂચિમાં “કાઈસાર” જુઓ.